
ઉકાઈ-કાકરાપાર યોજનાના નહેર આધુનિકીકરણ માટે ખાનપુર ગામમાં ૧૧૨ કરોડના ખર્ચે ચેકડેમો માટેનું ખાત મુહુર્ત કરવામાં આવ્યું
૧૦૮ કિમીના નહેરના અન્ય કામો ૩૭ દિવસમાં પૂર્ણ કરવામાં આવ્યા


આ જલ આંદોલનમાં રેઈન વોટર હાર્વેસસ્ટીંગ બાબતે તાપી જીલ્લાના કલેકટરશ્રી અભિનંદનને પાત્ર છે: માન.રાજ્ય કક્ષાના મંત્રીશ્રી મુકેશભાઈ પટેલ
ઉકાઈ કાકરાપાર યોજના હેઠળના તાપી અને સુરત જીલ્લામાં નહેર આધુનિકરણના કામનું તા.03 જાન્યુઆરીના રોજ ખાનપુર ખાતે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. નર્મદા, જળસંપતિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ તેમજ જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા સમારોહમાં રાજ્ય કક્ષાના મંત્રી વન અને પર્યાવરણ, કલાયમેટ ચેન્જ, જળ સંપતિ અને પાણી પુરવઠા, શ્રી મુકેશભાઈ પટેલના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતુ.
નહેરોના નવા કુલ ૪૮ કામો હાથ ધરવામાં આવનારા છે. તાપી અને સુરત આમ બંને જિલ્લા માટે લાભદાયી આ યોજનામાં બંને જીલ્લામાં મળીને કુલ રૂ.૧૧૨.૬૬ કરોડના માતબર ખર્ચે ૩૫ હજાર હેક્ટર જેટલી જમીન વિસ્તારમાં લાભ મળશે. આ કામોમાં મુખ્યત્વે સોનગઢ, વ્યારા ઉચ્છલ, નિઝર, ડોલવણ તાલુકાઓમાં ચેક ડેમ બનાવવામાં આવશે. આ ઉપરાંત સુરત જીલ્લાના લાગુ પડતા તાલુકાઓમાં પણ આ નહેરનો લાભ મળશે. આ ચેકડેમ બનતા પાણીનું લીકેજ, સીપેજ અટકશે. આ સાથે છેવાડાના વિસ્તાર સુધી ખેડૂતોને સિંચાઈનું પાણી મળશે. આ ઉપરાંત આ નહેરોના બાંધકામથી જળ સંચય, ટ્રાફિકમાં ધટાડો તેમજ અકસ્માતોનું પ્રમાણ ઘટશે.
આ ખાતમુહૂર્ત સમારોહમાં માન. મંત્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે પહેલા કેનાલનું પાણી આખું વર્ષ ન મળતું હતું હવે ૧૨ માસ આ પાણી ખેડૂતોને મળે છે. માનનીય વડપ્રધાનએ ૧૦ વર્ષના સમયગાળામાં ૧૫૫૦ કરોડ આ નહેરોના વિકાસ માટે આપવાનું વચન આપેલુ છે. માટે હજુ નવા બજેટમાં અન્ય ચેક ડેમ અને કોઝવેના કામો મંજુર થવાના છે. રેઈન વોટર હાર્વેસ્ટીંગ સંદર્ભે તાપી જિલ્લાની કામગીરી વખાણતા તેમણે કલેકટર વિપિન ગર્ગને અભિનંદન આપ્યા હતા. તેમણે ઉમેર્યું હતું કે જળ સંચયના કામ માટે ૬૫૧ કરોડની મંજુરી મળી ગઈ છે. જેનાથી ૧૪.૫ હજાર ગામોને લાભ મળવાનો છે.
આ સમારંભમાં જિલ્લા પંચાયતના પ્રમુખ જાલમસિંહ વસાવા, ધારાસભ્ય મોહનભાઈ કોંકણી અને ધારાસભ્ય ડો.જયરામભાઈ ગામીત, ચોર્યાસીના ધારાસભ્ય સંદીપભાઈ દેસાઈ, બારડોલીના ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર, સુમુલ ડેરીના ચેરમેન માનસીંહભાઈ પટેલ, ડીસ્ટ્રીક બેન્કના પ્રમુખ બળવંતભાઈ પટેલ, કેતનભાઈ પટેલ, શ્રી નીલેશભાઈ દેવધરા, નીલેશભાઈ તળવી તથા સુરત અને તાપી જીલ્લાના અન્ય મહાનુભાવો જોડાયા હતા.
